છોટાઉદેપુર તાલુકાના તેજગઢ, દેવળીયા અને પટેલ ફળિયા દેવળીયા પ્રાથમિક શાળાના ૧૧૫ ભૂલકાઓને પ્રવેશ કરાવતા નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી

છોટાઉદેપુર

શાળા પ્રવેશોત્સવ- કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ પ્રથમ દિવસ
છોટાઉદેપુર તાલુકાના તેજગઢ, દેવળીયા અને પટેલ ફળિયા દેવળીયા પ્રાથમિક શાળાના ૧૧૫ ભૂલકાઓને પ્રવેશ કરાવતા નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી
બાળકોના ઉજવળ ભવિષ્યની જવાબદારી શિક્ષકો, વાલીઓ અને સમાજની છે – નાયબ મુખ્ય દંડક
રાજ્યભરમાં “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” પર આયોજિત શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના પ્રથમ દિવસે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ છોટાઉદેપુર તાલુકાના તેજગઢ, દેવળીયા અને પટેલ ફળિયાની પ્રાથમિક શાળાઓમાં કુલ ૧૧૫ ભૂલકાઓને કુમકુમના તિલક કરી, મોં મીઠું કરાવી ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો. નાયબ મુખ્ય દંડક એ પ્રથમ વખત શાળાનું પગથિયું ચઢતા ભૂલકાઓને નોટબુક, સ્કુલબેગ, ચોકલેટ સહિતની કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
છોટાઉદેપુર તાલુકાના દેવળીયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૨૧ અને ધો.૧ માં ૨૩ અને આંગણવાડીમાં ૧૦ એમ કુલ ૫૪ બાળકો, તેજગઢ પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં ૨૬ અને ધો.૧ માં ૬ અને આંગણવાડીમાં ૦૫ એમ કુલ ૩૭ બાળકો અને પટેલ ફળિયા દેવળીયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૯ અને ધો.૧ માં ૧૧ અને આંગણવાડીમાં ૪ એમ કુલ ૨૪ બાળકો એમ કૂલ ૧૧૫ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક એ જણાવ્યું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળાઓમાં વધી રહેલા ડ્રોપ આઉટ રેસીયોને ઘટાડવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેસીયોમાં નોધપાત્ર ઘટાડો થયો છે. વિધાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ૩.૭૦ લાખ કરોડના બજેટ માંથી ૬૦ હજાર કરોડ શિક્ષણ વિભાગને ફાળવવામાં આવ્યા છે. શિક્ષણને લગતી બધી સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા વિધાર્થીઓને આપવામાં આવી રહી છે. બાળકોના ઉજવળ ભવિષ્યની જવાબદારી શિક્ષકો, વાલીઓ અને સમાજની છે. શિક્ષકો વિદ્યાર્થીને સક્ષમ બનાવી ગામનું, જિલ્લાનું, ગુજરાતનું અને દેશનું નામ રોશન કરશે એમ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા મહાનુભાવોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ યોગ, પર્યાવરણ, બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર વકતૃત્વ રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્ય દંડકશ્રીએ કાર્યક્રમ બાદ શાળાના આંગણામાં વૃક્ષારોપણ કર્યું હતું.
તેજગઢ, દેવળીયા અને પટેલ ફળિયા દેવળીયાની શાળાના એસએમસીના સભ્યો સાથે મિટિંગ કરી શાળામાં રહેલી સુવિધાઓની જાણકારી મેળવી હતી તેમજ વધુ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નારસિંગભાઈ રાઠવા, સીઆરસી તેજગઢ શંકરભાઈ રાઠવા, શાળાના આચાર્ય ઓ, સરપંચ ઓ, શાળાના સ્ટાફ, એસએમસીના સભ્યો, ગામના અગ્રણીઓ, વાલીઓ, ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.



